Categories
Book Gujarati books

જીવનલહરી (Jivan Lahari)

નિવેદન 

શ્રીસદ્‌ગુરુ સ્થૂળ દેહ નથી, તે તો સાધકના દિલમાં પ્રગટેલો ભાવ છે. જ્યાં સુધી ભાવ હૃદયમાં સ્થાપિત હોય ત્યાં સુધી જ સદ્‌ગુરુનું જીવનપ્રેરક સાચું સાંનિધ્ય. સ્થૂળ સાંનિધ્ય ઉપકારક ખરું, પણ ખાસ ઉપયોગી નહિ.

આ સમજણ તો સૌને હોય છે. છતાં, ગુરુના ભાવાત્મક સાંનિધ્યને દિલમાં પ્રગટાવવું અતિ કઠણ છે. પૂજ્ય શ્રીમોટાનાં નિકટ પરિચયનાં સ્વજન ડૉ. કાંતાબહેન પટેલે પોતાનું દિલ પૂજ્ય શ્રીમોટામાં રમ્યા કરે એ માટેનાં સાધનોની સરળ સમજ પ્રગટે તેવી દોરવણી આપવા પૂજ્ય શ્રીમોટાને વિનંતી કરેલી. પૂજ્યશ્રીના દિલમાં સતત પ્રભુપ્રેમના ભાવની છોળો તો ઊછળ્યા જ કરે. એમનું દિલ એટલે પ્રેમ અને ભાવથી છલકાતો સાગર.

પૂજ્યશ્રી રોજ એક ગઝલની રચના કરે અને તે ટપાલથી ડૉ. કાંતાબહેન ઉપર રવાના કરે. આમ, ભાવસિંધુમાંથી ઊછળેલી આવી બસો સોળ જેટલી ગઝલોની લહેરો ડૉ. કાંતાબહેનના હૃદયના અંતરભાવોને સતત ભીંજવતી રહી. જીવનલહરિ’ એ આ બસો સોળ ગઝલ લહરિનો સમૂહ છે. પૂજ્યશ્રીના હૃદયમાં પ્રવેશવાનો સરળ છતાં જીવનભરની સાધના માગતો રાજમાર્ગ તેમાં સ્પષ્ટ વર્તાય છે.

આ પુસ્તકની મુદ્રણશુદ્ધિનું કાર્ય પૂરા પ્રેમભાવથી અને ચીવટથી શ્રી જયંતીભાઈ જાનીએ કરી આપ્યું છે. તેમના સહકારની અમો કદર કરીએ છીએ. આ પુસ્તકની આવરણ ડિઝાઇન ખૂબ જ ઉત્સાહથી અને આકર્ષક રીતે તૈયાર કરી આપનાર શ્રી મયૂરભાઈ જાનીનો અમો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.

ટાઇટલને ચાર રંગમાં છાપી આપવા બદલ સાહિત્ય મુદ્રણાલયના નિયામકો શ્રી શ્રેયસભાઈ પંડ્યા તથા શ્રી યજ્ઞેશભાઈ પંડ્યાનો અમો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.

ચિખોદરાના વતની શ્રી ચૂનીભાઈ ડાહ્યાભાઈ પટેલના આર્થિક સહયોગથી આ પુસ્તકની બીજી આવૃત્તિ પ્રગટ કરતાં અમો આનંદ અનુભવીએ છીએ. આશા છે કે સૌ કોઈ આ પુસ્તકને પ્રેમથી વધાવશે.

હરિઃૐ આશ્રમ,                                                                                                                                                            સી. ડી.શાહ 

નડિયાદ.                                                                                                                                                                               મૅનેજિંગ ટ્રસ્ટી

તા. ૧૪-૨-૧૯૯૯

Categories
Book Gujarati books

જીવનઆહલાદ (Jivan Aahlad)

સંપાદકના બે બોલ

જ્યારે પૂજ્ય શ્રીમોટાએ ‘જીવનઅનુભવગીત’થી તેમના સ્વાનુભવની વાણી વહેતી શરૂ કરી, ત્યારે તેમના સંબંધમાં આવેલાં સ્વજનો ઘણાં રાજી થયાં.

જોકે પૂજ્ય શ્રીમોટાએ આ અગાઉ લખેલાં તેમનાં પુસ્તકોમાં જીવનસાધના કરવા ઇચ્છતાં ભાઈબહેનોને માર્ગદર્શક થઈ પડે તેવાં ઘણાં લખાણો સંપૂર્ણ વિગતે લખ્યાં છે અને તેમાંય તેમના સ્વાનુભવની વાણી આવે છે ખરી, પરંતુ જીવનઅનુભવગીત’થી શરૂ થતી તેમની સ્વાનુભવની વાણી એ તેમની સાધનાપંથની નરી વાણી છે. તે રીતે સાધના કરવા જતાં કેવાં કેવાં કષ્ટો પડે છે, કેવી કેવી ભુલભુલામણી આવે છે અને સાધનાની સિદ્ધિનું શિખર સર કરવા માટે કેવાં કેવાં કઠોર તપમાંથી પસાર થવું પડે છે, તેનાં દર્શન તેમની આ સ્વાનુભવની વાણીમાંથી થાય છે. જેથી, જિજ્ઞાસુ સાધકોને માર્ગદર્શન મળશે એવી આશા છે.

ગીતામાં પરમાત્મા પ્રાપ્તિ માટે નામસ્મરણનો આધાર લેવાનું કહ્યું છે. પૂજ્ય શ્રીમોટાએ પણ એકાંતમાં શાંતિથી સૌ નામસ્મરણ કરી શકે, તે માટે તેમના આશ્રમોમાં મૌનમંદિરો સ્થાપ્યાં છે અને નડિયાદ, સુરત, કુંભકોણમ્‌ અને નરોડા(અમદાવાદ)માં આવેલાં આ મૌનમંદિરોમાં બેસીને ઘણાં ભાઈબહેનો તેમના ઇષ્ટ દેવ કે તેમના ઇષ્ટ મંત્રનો જાપ કરતાં હોય છે. પૂજ્ય શ્રીમોટાએ તેમની સાધનાની શરૂઆત નામસ્મરણથી જ શરૂ કરેલી. એથી જ તેમની સ્વાનુભવની વાણીમાં તેમણે સ્મરણ મહિમાને વિશેષ ગાયો છે.

આ રીતે પૂજ્ય શ્રીમોટાએ જ્યારે તેમની સ્વાનુભની વાણી લખવા માંડી, ત્યારે તે લખવાનું તેઓ ચાલુ રાખે અને તેની પ્રસિદ્ધિની જવાબદારી અમે તેમનાં સ્વજનો લઈ લઈશું એવી તેમને વાત કરી અને તેમણે તે સ્વીકારી, તેના પરિણામે જીવનઅનુભવગીત’ પછી જીવનઝલક’, જીવનલહરિ’, જીવનસ્મરણ’, જીવનરસાયણ’ વગેરે પુસ્તકો રજૂ થયાં છે અને તે પછી હવે આ જીવનઆહ્‌લાદ’ પુસ્તક રજૂ થાય છે.

પૂજ્ય શ્રીમોટાએ આ જીવનઆહ્‌લાદ’ છપાવવાનું કામ મને સોંપ્યું, તેને હું મારું સદ્‌ભાગ્ય સમજું છું. તેમના હાથે તેમની સ્વાનુભવની વાણીનાં હજી આવાં બીજાં ઘણાં ઘણાં પુસ્તકો લખાય અને છપાય તથા તેઓશ્રી સમાજ-પરમાર્થનાં કામ કરવા માટે ઘણું ઘણું જીવો એ જ પ્રાર્થના.

 ‘હરિનિવાસ’,                                                                                                                                      પુષ્પાબહેન જયરામભાઈ દેસાઈ

ગોયાગેટ કો. ઑ.

હાઉસિંગ સોસાયટી,

પ્રતાપનગર, વડોદરા-૪