Categories
Book Gujarati books

શ્રીમોટા પત્રાવલી ૧-૨ (Shree Mota Patravali-1-2)

પૂજ્ય શ્રીમોટાની સહાય ( આમુખ )

પૂજ્ય શ્રીમોટાએ પોતાના એક સ્વજનને લખેલા પત્રોનો આ સંચય જીવનવિકાસની સાધનાને અત્યંત સરળતાથી અને વ્યવહારુ રીતે સ્પષ્ટ કરે છે . પૂજ્ય શ્રીમોટાએ સંસારજીવનમાં રહીને પ્રભુમય જીવનનો અનુભવ કેવી રીતે પમાય એની અનેક રીતો દર્શાવી છે . એમાં સૌ કોઈ પોતપોતાનાં પ્રકૃતિ – સ્વભાવને સમજીને જાગૃતિથી કોઈ પણ રીતનો પ્રયોગ કર્યા કરે તો એને સવિશેષ તો પૂજ્ય શ્રીમોટાની ચેતનાશક્તિની સહાય મળ્યાનો અનુભવ થાય છે . પોતાની સાથે ‘ કોક ’ છે એવો સતત અનુભવ થતાં આપણામાં એક અનોખી હિંમત અને ધીરજ પ્રગટતાં અનુભવીએ છીએ .

પૂજ્ય શ્રીમોટાએ પ્રભુને બધું જ કહ્યા કરવાની રીત દર્શાવી છે . નિવેદનનો આ પ્રકાર અત્યંત સરળ હોવા છતાં કાળજીપૂર્વક આચરવાનો હોય છે . પ્રભુને કરાતાં નિવેદનમાં નિખાલસતા અને નિષ્ઠા અનિવાર્ય છે . જો નિખાલસતા હોય તો પ્રભુપ્રેમનો સ્પર્શ અનુભવાય અને નિષ્ઠા હોય તો પ્રભુપ્રેમ સ્પર્શની શક્તિથી વ્યવહારમાં નિવેદન દ્વારા વ્યક્ત થયેલી ભાવના જાગૃત રહે , અને જે ભાવનાથી કર્મ આચરવાં જોઈએ એવી ભાવનાથી એ આચરાય . નિવેદનની આ બારીક રેખા પ્રત્યે પૂજ્ય શ્રીમોટાએ ખાસ ધ્યાન દોર્યું છે .

બીજું ખુલ્લું થવા વિશેની વાત છે . આપણાં અંતઃકરણોમાં એટલે કે મન , બુદ્ધિ અને પ્રાણમાં જે વલણો જાગે છે , એને પ્રભુ સમક્ષ ખુલ્લાં કરી દેવાં રહ્યાં . મનના વિચારો , બુદ્ધિની શંકાઓ અને પ્રાણની વૃત્તિઓ જેવી જાગે એવી ખુલ્લી રીતે વ્યક્ત કરીને પ્રભુને પ્રભુના ચરણે ધરવી . એટલું જ નહિ પણ દિવસ દરમિયાન જે કંઈ કાર્ય આપણાથી થાય , જેવી ભૂમિકાથી થાય એ પણ ખુલ્લું કહી દેવું . ખુલ્લા થવામાં આ બીજો ભાગ મહત્ત્વનો છે . ખુલ્લા થવાની આ ક્રિયા જે કોઈ કરવા ઇચ્છે , એ સરળતાથી કરી શકે છે . આ ક્રિયા દ્વારા એક સૂક્ષ્મ પરિણામ આવે છે . જેથી સમજી આપણે ખુલ્લા થઈએ છીએ . એની સાથે આપણો દિલનો સંબંધ વધુ ગાઢ બનતો જાય છે . પરિણામે એમની ચેતનાશક્તિ આપણા સમગ્ર આધારમાં કામ કરતી થાય છે .

પૂજ્ય શ્રીમોટાએ મૌનએકાંતમાં નામસ્મરણ આદિ સાધનોની સાથે આવી કેટલીક મહત્ત્વની વ્યવહારુ સાધના આ પત્રોમાં સમજાવી છે . આ એકડો ઘૂંટવાથી ધીમે ધીમે એવો વિકાસ થશે કે જે અનંત તરફ દોરી જઈને , અનંતતાનો અનુભવ કરાવશે .

આ પત્રોમાંની એક ખાસ લાક્ષણિકતા છે . એમાં પૂજ્ય શ્રીમોટાએ પોતાના ગૂઢ – રહસ્યમય રૂપની ઝાંખી આપી છે . એક સ્થળે પૂજ્ય શ્રીમોટાએ લખ્યું છે કે , પોતે તાબોટા પાડનાર વ્યંઢળ નથી . આવી અભિવ્યક્તિ કોઈ પણ નવા વાચકને આશ્ચર્યમાં ગરકાવ કરી દે . પરંતુ પૂજ્ય શ્રીમોટાના સમગ્ર લખાણોમાં આવાં વચનો યથાર્થ રીતે પ્રગટ થયેલાં છે . લૌકિક અર્થમાં વ્યંઢળ શબ્દ તુચ્છ નિર્માલ્યપણાનું સૂચન કરનારો છે . પરંતુ એનો આધ્યાત્મિક અર્થ પણ છે . ‘ શ્રી સદ્દગુરુ ‘માં પૂજ્ય શ્રીમોટાએ આવી નાન્યતર જાતિ વિશે વાત લખી છે . એ પરથી સમજાય છે કે અનુભવની પણ એવી કક્ષા હોય છે જ્યાં સ્રી – પુરુષનો લિંગભેદ પરખાતો નથી . આવી અવસ્થામાં અત્યંત શક્તિ – સામર્થ્ય પ્રગટ થતાં હોય છે . ‘ તાબોટા ‘ એટલે માત્ર ખાલી પડેલો મોટો અવાજ એમ સમજવાનું છે . મતલબ કે પૂજ્ય શ્રીમોટા જે કંઈ કહે છે કે લખાણ દ્વારા વ્યક્ત થાય છે , એમાં નક્કરતા છે . માત્ર કહેવા કે સમજાવવા પૂરતું જ નથી . પરંતુ એ મુજબ આચરનારને એમની શક્તિની અખૂટ સહાય મળ્યાં જ કરે છે . આથી પૂજ્ય શ્રીમોટાના શબ્દો વાંચનારે એમ સમજવાનું નથી કે આમાં માત્ર ઠાલો ઉપદેશ છે . ક્યારેક પૂજ્ય શ્રીમોટાની વાણીમાં ઉગ્રતા – કઠણાશ હોય , ત્યારે પણ એમાં ઘાટ ઘડવાનું જોશ – જોમ – શક્તિ હોય છે . આથી એમની વાતને અવગણવી એ યોગ્ય નથી .

પૂજ્ય શ્રીમોટાએ આ પત્રોમાં પોતામાં પ્રગટ થયેલા વિભુત્ત્વની ઝાંખી વારંવાર કરાવી છે . આ પત્રોના વાંચનથી પૂજ્ય શ્રીમોટા સાથે સંબંધમાં આવનાર સૌ કોઈ તેઓશ્રીનું નિકટનું સ્વજન બની રહે છે . આ પત્રોમાંનો ઘણો જ મોટો ભાગ પદ્યમાં છે . એમાં આવી ઝાંખી – ઝલક વિશેષ પ્રમાણમાં અનુભવાય છે . ઉપરાંત એ પદ્યકથનમાં જીવન વિશેનું ગહન તત્ત્વજ્ઞાન પણ રજૂ થયું છે . એનું મનન – ચિંતન પણ વાચકને પૂજ્ય શ્રીમોટાના આંતરિક સ્પર્શનો અનુભવ અવશ્ય કરાવશે . પત્રસંચયનાં પ્રકાશનથી અભિનંદનીય ઉપકારક કાર્ય સધાઈ રહ્યું છે.

રમેશભાઈ મ . ભટ્ટ

તા .૧૩-૯-૧૯૯૫

અમદાવાદ -૩૮૦૦૦૭ .

 

Categories
Book Gujarati books

જીવનપરાગ (Jivan Parag)

પૂજ્ય શ્રીમોટાનું કથન 

મદ્રાસના મારા એક સ્વજને એક વાર મને સૂચવ્યું કે ‘તમારાં બધાં છપાયેલાં પુસ્તકોમાંથી જે જે સૂત્રાત્મક વચનો હોય, તેને તથા તે પુસ્તકોમાંથી જુદા જુદા વિષયના મુખ્ય મુખ્ય મુદ્દાઓ તારવીને, ટૂંકાવીને, તે બધાંનું જો એક જુદું પુસ્તક છપાવાય, તો શ્રેયાર્થીને તથા વાચકને તે તે બધું જાણવું વધુ સુલભ થઈ પડે. આ હકીકતને તો ઘણાં વર્ષો થઈ ગયાં. તે પછી ભાઈ નંદુભાઈને પોતાને જ આવું કંઈક તારવવાનો સભાન ખ્યાલ જાગ્યો ને તેઓએ મૌનએકાંત મંદિરમાં પુરાઈ જઈને, તદ્દન એકાંતવાસ સેવીને, બધાં પુસ્તકોનો અભ્યાસ કરીને આ બધું તારવ્યું છે, જેને વાચક આગળ આજે રજૂ થવાની તક સાંપડી છે. તેનું નિમિત્તકારણ તો એવા જ એક સ્વજન ભાઈ ચીમનભાઈ મહાજન છે. તેમણે લેખકનું કંઈક છપાવવા, યોગ્ય લખાણ તૈયાર હોય તો છપાવવાનું, બહુ જ દિલ કર્યાં કરેલું, ને તેવું લખાણ તો તૈયાર જ હતું. આ થઈ એની પ્રકાશન-કથા.

 લેખકને જે જે કંઈક કહેવાનું હોય છે, જે જે તેના દિલમાં હોય છે, તે બધું જ કંઈ કહેવાઈ જતું હોતું નથી. તે તો જેને જેને કહેવાનું કે લખવાનું બન્યું હોય, તેની તેની ભૂમિકા પરત્વેના લક્ષાનુસંધાનથી પ્રેરાઈને લખેલું હોવાથી તે તે વિષયની સંપૂર્ણ હકીકત તેમાં આવી જતી નથી હોતી. તેમાંય વળી આ તો બધું તારવેલું છે, એટલે તે લખાયેલાના સારરૂપે તે છે, તેથી તેમાં અધૂરપ પણ હોવાની જ.

જીવનવિકાસનાં દૃષ્ટિ, વૃત્તિ અને વલણ જ્યાં સુધી એકાગ્ર ને કેંદ્રિત, જીવતાંજાગતાં, એકધારાં પ્રગટેલાં હોતાં નથી, ત્યાં સુધી  શ્રેયાર્થીની ભૂમિકા Receptive and Responsive-સ્વીકારાત્મક, સંગ્રાહક અને તેને અનુલક્ષીને તેનો હેતુલક્ષી ભાવનાથી પ્રત્યુત્તરાત્મક સામો જવાબ પ્રેમથી, હૈયાના ઉમળકાથી વાળી શકે એવી ભૂમિકા બની ગયેલી, હોઈ શકેલી, ન હોવાથી, તેનું દિલ તે તે બધું પૂરું પચાવી શકે એવું નથી હોતું. તેનો આધાર તો તેનું દિલ જીવનવિકાસના ધ્યેય પરત્વે કેટલું ને કેવું ધગધગતા તલસાટયુક્ત ને સતત ઉન્મુખી પ્રગટેલું છે તેના પર હોય છે. એવા દિલનો દિલમાં દિલથી પ્રગટેલો એવો તલસાટ એ જ સાચી રીતે તો એના જીવનને ઘડનારો સાચો ગુરુ છે, ને ત્યારે જ નિમિત્તગુરુ એને પ્રભુકૃપાથી આકાર દેવામાં પ્રેરણાત્મક સૂક્ષ્મ મદદ પ્રેરાવી શકતો હોય છે. એવો દિલનો ઉત્કટ તલસાટ, પ્રચંડ ધગશ, ઉત્સાહ, ઉમંગ, ન્યોછાવરી, સાહસ, હિંમત, ધીરજ, ત્યાગ, સમર્પણ વગેરે જીવનમાં જ્યારે એક અંગભૂત વણાઈ જઈને તેના તેવા સ્વરૂપની કાયા ઘડાયેલી હોય છે, ત્યારે જ એવો શ્રેયાર્થી વારી વારી જઈને એમાં સર્વ ભાવે ને સર્વ રીતે પોતે ફનાગીરીનો આનંદ સેવી સેવી ફલંગો પર ફલંગો કૂદી કૂદી આગેકદમ ભરતો જતો હોય છે ને એવાના દિલની ને જીવનની એવી મસ્તીમાંથી જ જીવનનું પુનર્જીવન ને નવસર્જન થતું રહેતું હોય છે.

જીવનનાં અનેક પાસાંઓમાં, ક્ષેત્રોમાં ને જીવનના જુદા જુદા સંજોગોમાં, પરિસ્થિતિમાં, જુદાં જુદાં કર્મોમાં તેવો  जीव ભલે જુદો જુદો વર્તતો લાગે, પરંતુ તેનાં દૃષ્ટિ, વૃત્તિ અને વલણ તો ધ્યેય પરત્વેના હેતુથી એકધારાં પ્રેરાઈને ધ્યેયના હેતુની સફળતા પરત્વેની એના દિલની સચોટ મીટ મંડાયેલી ત્યારે રહ્યાં કરતી હોય છે, ને એમાંથી જ તે પોતાના જીવનને તારવતો તારવતો આગળ ધપ્યો જતો હોય છે. જીવનમાં અનેક પ્રકારનાં ઘમસાણ ને પ્રલયો એને પ્રગટે છે, પરંતુ તેના દિલની મસ્તીનો પારો ત્યારે પણ નીચે કદી ઊતરી શકતો નથી. એવા એવા પ્રસંગોથી તો એના દિલની ખુમારી ત્યારે વધારે  પ્રકાશી કેવી મદમસ્ત ટટ્ટારી અનુભવે છે, એની કથા તો કોઈક એવો ન્યારો વિરલ વીર જ અનુભવી શકે છે.

જીવનવિકાસનો માર્ગ તો છે જીવનની મસ્તીનો, ખુમારીનો ને જીવનને હૈયાના ઉમળકાથી સ્વાર્પણ કર્યાં જવાનો છે. જીવનવિકાસની કથા એવાં સ્વાર્પણનાં એક પછી એક પગલાં ભરાયાં જવાયામાંથી નવા નવા ભાવે ને નવા નવા રૂપે કોઈક ભવ્ય, રમ્ય, દિવ્ય કળામાં પરિણમતી જતી જ્યારે પોતે અનુભવે છે, ત્યારે જીવનની ધન્યતા, કૃતાર્થતા અનુભવતો તે શ્રેયાર્થી એવી જ્ઞાનભક્તિયુક્ત દિલની કુરબાનીઓ ને આહુતિઓ આપતાં આપતાં એના દિલનો ભાવ દરિયાનાં ભરતીનાં મોજાંઓથી પણ અનેકગણો વધુ ઊછળતો તે પોતે અનુભવે છે ને જીવન એક પરમ આનંદનો લહાવો છે, એવી એને દિલમાં દિલથી સભાનતા પ્રગટે છે. એવાને ત્યારે દિલમાં મસ્તીની, જીવનઘડતરની એકધારી સતત ભાવના પ્રગટેલી રહ્યાં કરે છે. તેવી ભાવના વડે કરીને હાર ને નિરાશાના વમળમાં તે કદી પણ ગર્ત થઈ જઈ શકતો નથી, કારણ કે દિલમાં એવી પ્રગટેલી પ્રચંડ ઉત્સાહ, તલસાટવાળી ભાવના એનામાં એવી તો એક હૈયાસૂઝ પ્રગટાવે છે કે તે તેવી તેવી વેળા તટસ્થતા ને સમતાથી એનું આકલન કરી કરી, તેને તેને પાર કરી જતો હોય છે, ને ત્યારે તે તેના વહાલા પ્રભુની પરમ મંગળમયી કૃપાનો સહારો અનુભવે છે કે જેના આધારે તે પોતાના જીવનનું સુકાન ધ્યેયના હેતુને હૃદયમાં હૃદયથી અનુલક્ષીને પ્રભુકૃપાથી દોરવ્યાં કરતો હોય છે.

જે જે સ્વજનોને આ બધું સંબોધાઈને પ્રભુકૃપાથી જે લખાયેલું છે, તે તે તેમને જીવન પરત્વે સભાન ને સજાગ રખાવ્યાં કરો એ જ  પ્રાર્થના.

હરિઃૐ આશ્રમ,                                                                                                                                                                       –– મોટા

કુરુક્ષેત્ર, રાંદેર (વાયા સુરત)

તા. ૧-૬-૧૯૬૩