Categories
Book Gujarati books

જીવનઝલક (Jivan Zalak)

લેખકના બે બોલ

(પ્રથમ આવૃત્તિ)

જીવનઅનુભવગીત છપાતું હતું, ત્યારે એક શ્રીમતી ડૉક્‌ટર બહેને વિનંતી કરી કે ‘મોટા, મને પણ રોજની એકાદ ગઝલ પોસ્ટકાર્ડ દ્વારા લખી મોકલો, તો તે બધી એકઠી થયે, તે પુસ્તકરૂપે છપાવીશ.’ શ્રીપ્રભુકૃપાથી તે નિમિત્તે મળ્યું, તેને શ્રીપ્રભુકૃપાની અણમોલ પ્રસાદી સમજું છું.

આવું યોગ્ય નિમિત્ત મળવાથી સ્મરણના સાધનને શ્રીપ્રભુકૃપાથી जीवे કેવી રીતે જીવનમાં તાણાવાણાની પેઠે વણી લીધેલું છે, તેનો ઇતિહાસ થોડો ઘણો પણ લખવાનો જે અવસર મળ્યો છે, તેને હું મારું સદ્‌ભાગ્ય ગણું છું. જીવનઅનુભવગીત, જીવનલહરિ અને જીવનઝલક એ ત્રણે પુસ્તકોમાં સ્મરણને મેં જે રીતે બહુવિધ દોહરાવ્યું છે, તે જોતાં जीवे સ્મરણ સાધનને જે ભાવે અને જે હેતુની સભાનતાથી લીધા કરેલું છે, તેનો સળંગ ઇતિહાસ તો નહિ, પરંતુ તેનો કંઈક ઇશારો તો મળી શકે તેવું છે.

શ્રીપ્રભુકૃપાથી કેવાં કેવાં નિમિત્ત મળ્યાં છે અને તે નિમિત્તોએ મને જે મદદ કરેલી છે, તેનો પણ એક સ્વતંત્ર અને નોખો ઇતિહાસ છે. એવાં અનેક સ્વજનોના અને जीवના.

(અનુષ્ટુપ)

દોષો કેવા થયેલા જે તેના તે પરિણામને-

શૂળીનું વિઘ્ન સોયેથી ટળે’, તે ભાવથી હૃદે,

મળ્યાં-નિમિત્ત-સંબંધે વર્તાતાં, હેતુથી જ તે-

ભોગવાતાં, સ્તવું, મોળું થજો દોષનું જીવને.

પ્રત્યેક કંઈક પ્રાર્થના કરી કરી શ્રીપ્રભુનાં ચરણકમળમાં પ્રેમભક્તિભાવે સમર્પણ કર્યા કરવાનો જે જ્ઞાનભાન સાથેનો જીવંત અભ્યાસ પડ્યા કરેલો છે, તેથી તેવાં તેવાં નિમિત્ત સંબંધોનાં તેવાં તેવાં સ્મરણને પણ સમર્પણભાવે શ્રીહરિનાં ચરણકમળમાં શુદ્ધ થવા સમર્પણ કરી કરી પ્રાર્થું છું કે :-

(અનુષ્ટુપ)

થવા પાત્ર પ્રભુને તે સ્વજન દિલમાં ઊંડું,

ડંખનું ભાન પ્રેરાવી જગાડો તેમને’, સ્તવું.

જે રીતે, જે ભાવે શ્રીભગવાનને મારાથી ભજવાનું થયેલું છે, તે જ મેં સ્વજનોને ગાઈ બતાવ્યું છે અને સ્વજનોને પણ પોતાને શ્રેયાર્થી થવાની ઉત્કટ ઝંખના હોય, તો તેવાએ પણ કેવું કેવું થવું જોઈશે, તે પણ શ્રીપ્રભુકૃપાથી દર્શાવવાનું થયેલું છે.

નિમિત્ત હેતુએ મળેલાં સ્વજનો મારાં આવાં લખાણને સ્વીકારી પ્રેમથી વધાવી લેશે એવી શ્રદ્ધા સેવું છું.

તે ડૉક્‌ટર બહેનનો હૃદયથી આભાર માનું છું કે મને આવી રીતે વ્યક્ત થવાની તક તેમણે પ્રેરાવી.

આ તો માત્ર જોડકણાં છે અને તે રીતે શ્રેયાર્થી એને સ્વીકારશે  એવી વિનંતી છે.

મોટા

હરિઃૐ આશ્રમ,

શેઢી નદી, નડિયાદ.

તા. ૧૯-૮-૧૯૭૧

Categories
Book Gujarati books

જીવનસ્મરણ (Jivan Smaran)

                              સ્મરણ નાનકડી મૂડીથી

સ્મરણ  નાનકડી મૂડીથી જીવન  વેપાર માંડ્યો   છે,

કદીક ત્યાં ખોટ ખાધી છે, કદીક તો લાભ લાગ્યો છે.

 

કરી છે ચડઊતર કેવી  મજલને   કાપતાં    જીવને !

કદીક  પછડાટ  ખાતામાં  સ્મરંતાં,આવિયો  મદદે.

 

જગત  રખડ્યા  કરેલો છું,   તને શો  સાવ  ભૂલીને !

ન તુજ દરકાર  રાખી છે, તને  તોયે ન  છોડ્યો   છે.

 

રહમ  તારી પ્રભુ મુજ પર સતત કેવી જ   વર્ષી છે !

સ્મરણ જહેમતની શી મુજને હૃદય તેં ભેટ દીધી છે !

‘જીવનસ્મરણ’,આ-બીજી,પૃ-૪

Categories
Book Gujarati books

જીવનરંગત (Jivan Rangat)

સ્મરણના ફાયદા હૃદયે

થતાં, થતાં સ્મરણ हरि નું સ્મરણ તો દિલ ઊપજ્યું છે.

સ્મરણ જ્યાં દિલ ઊપજવાથી, સ્મરણ લાગું પડેલું છે.

 

हरि   સાંકળવા  જીવનમાં સ્મરણનો હેતુ  ધાર્યો   છે,

હૃદય    તે હેતુ   દૃઢવાતાં, હૃદય  તે   લક્ષ  ચોંટ્યું   છે.

 

હૃદય    તે લક્ષને લીધે   સ્મરણ  જીવતું  થયેલું    છે,

સ્મરણમાં  प्राण  ઊગીને  સ્મરણ  ફાલ્યું,  ફૂલેલું  છે.

 

સ્મરણના    ફાયદા હૃદયે મને અગણિત લાગ્યા છે,

જીવનનું   રોકડું   નાણું  કમાવાયું   સ્મરણથી   છે.

‘જીવન રંગત’,આ-ચોથી, પૃ-૧૪૪

Categories
Book Gujarati books

જીવનલહરી (Jivan Lahari)

નિવેદન 

શ્રીસદ્‌ગુરુ સ્થૂળ દેહ નથી, તે તો સાધકના દિલમાં પ્રગટેલો ભાવ છે. જ્યાં સુધી ભાવ હૃદયમાં સ્થાપિત હોય ત્યાં સુધી જ સદ્‌ગુરુનું જીવનપ્રેરક સાચું સાંનિધ્ય. સ્થૂળ સાંનિધ્ય ઉપકારક ખરું, પણ ખાસ ઉપયોગી નહિ.

આ સમજણ તો સૌને હોય છે. છતાં, ગુરુના ભાવાત્મક સાંનિધ્યને દિલમાં પ્રગટાવવું અતિ કઠણ છે. પૂજ્ય શ્રીમોટાનાં નિકટ પરિચયનાં સ્વજન ડૉ. કાંતાબહેન પટેલે પોતાનું દિલ પૂજ્ય શ્રીમોટામાં રમ્યા કરે એ માટેનાં સાધનોની સરળ સમજ પ્રગટે તેવી દોરવણી આપવા પૂજ્ય શ્રીમોટાને વિનંતી કરેલી. પૂજ્યશ્રીના દિલમાં સતત પ્રભુપ્રેમના ભાવની છોળો તો ઊછળ્યા જ કરે. એમનું દિલ એટલે પ્રેમ અને ભાવથી છલકાતો સાગર.

પૂજ્યશ્રી રોજ એક ગઝલની રચના કરે અને તે ટપાલથી ડૉ. કાંતાબહેન ઉપર રવાના કરે. આમ, ભાવસિંધુમાંથી ઊછળેલી આવી બસો સોળ જેટલી ગઝલોની લહેરો ડૉ. કાંતાબહેનના હૃદયના અંતરભાવોને સતત ભીંજવતી રહી. જીવનલહરિ’ એ આ બસો સોળ ગઝલ લહરિનો સમૂહ છે. પૂજ્યશ્રીના હૃદયમાં પ્રવેશવાનો સરળ છતાં જીવનભરની સાધના માગતો રાજમાર્ગ તેમાં સ્પષ્ટ વર્તાય છે.

આ પુસ્તકની મુદ્રણશુદ્ધિનું કાર્ય પૂરા પ્રેમભાવથી અને ચીવટથી શ્રી જયંતીભાઈ જાનીએ કરી આપ્યું છે. તેમના સહકારની અમો કદર કરીએ છીએ. આ પુસ્તકની આવરણ ડિઝાઇન ખૂબ જ ઉત્સાહથી અને આકર્ષક રીતે તૈયાર કરી આપનાર શ્રી મયૂરભાઈ જાનીનો અમો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.

ટાઇટલને ચાર રંગમાં છાપી આપવા બદલ સાહિત્ય મુદ્રણાલયના નિયામકો શ્રી શ્રેયસભાઈ પંડ્યા તથા શ્રી યજ્ઞેશભાઈ પંડ્યાનો અમો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.

ચિખોદરાના વતની શ્રી ચૂનીભાઈ ડાહ્યાભાઈ પટેલના આર્થિક સહયોગથી આ પુસ્તકની બીજી આવૃત્તિ પ્રગટ કરતાં અમો આનંદ અનુભવીએ છીએ. આશા છે કે સૌ કોઈ આ પુસ્તકને પ્રેમથી વધાવશે.

હરિઃૐ આશ્રમ,                                                                                                                                                            સી. ડી.શાહ 

નડિયાદ.                                                                                                                                                                               મૅનેજિંગ ટ્રસ્ટી

તા. ૧૪-૨-૧૯૯૯

Categories
Book Gujarati books

જીવનસૌરભ (Jivan Saurabh)

  • લેખકના બે બોલ

અમારા નડિયાદના સદ્‌ગત બાલાશંકરભાઈની ગુજારે જે શિરે તારેએ ગઝલ મને નાનપણમાં બહુ પ્રિય. અને ગરીબાઈમાં ઘણું વેઠવાનું આવેલું હતું અને ઘણા કારમા પ્રસંગો પણ સાંપડેલા હતા. કઠણાઈઓ તો પાર વિનાની. શરીર તૂટી પડે, એટલી હદ સુધીની મજૂરી અને તેમાંય મજૂરી કરાવનારની પ્રપંચવૃત્તિ. આ બધાંમાં ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સ્હેજે ! આ ગઝલના ભજને મને ઘણું પ્રોત્સાહન આપ્યું હતું. એ ગઝલનો લય મારા કંઠમાં બેસી ગયો છે. તેથી, મારા સાધનાભ્યાસના કાળના જુદા જુદા તબક્કાનાં જુદાં જુદાં પાસાં ગુજારે જે શિરે’ની લયમાં જ લખાયેલાં છે. ગઝલના શબ્દાકાર કે માત્રમેળ જાણતો નથી, પરંતુ ગાતાં ખટકાય નહિ, એટલું તો જોવાયું છે. સામાન્ય રીતે તો આપોઆપ જે કહેવાનું હોય છે, તે ઢાળમાં યથાસ્થિતપણે યોગ્ય રીતે નીકળ્યાં જ કરતું હોય છે, ભાગ્યે જ ફેરફાર કરવો પડે છે. એક વાર લખ્યું તે લખ્યું. ફરી વાંચી જતો પણ નથી, અને એને મઠારવાનું તો જાણતો જ નથી. જેમ જે સ્ફુર્યું તેને તેમને તેમ રાખ્યું છે.

હરિઃ ૐ આશ્રમ, નડિયાદ                                                                                                                                                                  –મોટા

તા. ૩-૯-૧૯૭૨