Categories
Book Gujarati books

જીવનરંગત (Jivan Rangat)

સ્મરણના ફાયદા હૃદયે

થતાં, થતાં સ્મરણ हरि નું સ્મરણ તો દિલ ઊપજ્યું છે.

સ્મરણ જ્યાં દિલ ઊપજવાથી, સ્મરણ લાગું પડેલું છે.

 

हरि   સાંકળવા  જીવનમાં સ્મરણનો હેતુ  ધાર્યો   છે,

હૃદય    તે હેતુ   દૃઢવાતાં, હૃદય  તે   લક્ષ  ચોંટ્યું   છે.

 

હૃદય    તે લક્ષને લીધે   સ્મરણ  જીવતું  થયેલું    છે,

સ્મરણમાં  प्राण  ઊગીને  સ્મરણ  ફાલ્યું,  ફૂલેલું  છે.

 

સ્મરણના    ફાયદા હૃદયે મને અગણિત લાગ્યા છે,

જીવનનું   રોકડું   નાણું  કમાવાયું   સ્મરણથી   છે.

‘જીવન રંગત’,આ-ચોથી, પૃ-૧૪૪

Categories
Book Gujarati books

જીવનપ્રેરણા (Jivan Prerna)

નમ્યો તે પ્રભુને ગમ્યોએવી એક કહેવત છે. મારા જેવા છેક અજાણ્યાને, કોઈ એક અજાણે ઠેકાણે પડેલાને તથા જેને કોઈ જાણતું નથી એવા ગરબીને, તમે બધાં સ્વજનો પ્રેમભાવે ન્યોછાવર કરી દો છો, એ મારે મન તો પ્રત્યક્ષ પ્રભુકૃપા જ છે. બાકી જો હું વિચારું તો મારી કને છે શું ? જગતમાં આજે લોક જેની કને કંઈક હોય છે–કંઈક પ્રતિષ્ઠા હોય, કંઈક નામના, કંઈક પ્રતિભા, કંઈક લક્ષ્મી, કંઈક સત્તા, કંઈક વૈભવ, કંઈક આંજી દે એવી તેજસ્વિતા અને એવી કંઈક સ્નિગ્ધ વાક્‌કુશળતા, સાક્ષરપણું એવાને જગત જાણે અને ઓળખે પણ ખરું. આમાંનું મારી પાસે કશુંય નથી. મારો વેપાર તો સ્વજનોની પ્રેમભાવના અને જીવનની કદરભાવના ઉપર જ નભી શકે. એના વિના હું તો સાવ દેવાળિયો છું. સાવ નરાતાર ભિખારી. પ્રભુનાં આપેલાં મારાં સ્વજનોએ પ્રેમની ખોટ પડવા દીધી નથી, તેમ છતાં હૃદયમાં તેમના પરત્વે અસંતોષની જ્વાળા આજે જે ધગધગે છે અને તેમાંથી જે વેદના પ્રગટે છે, તેનાથી હું બળ્યોઝળ્યો રહ્યા કરું છું.

‘જીવનપ્રેરણા’,ચોથી આ, પૃ-૧૩૬-૩૭

Categories
Book Gujarati books

જીવનપોકાર (Jivan Pokar)

પછીથી વ્યર્થ પસ્તાશો

એક કાળ એવો પણ આવશે કે જે વેળા આવાં બધાં સ્વજનો પસ્તાશે કે, ‘મળેલા પુરુષને આપણે અવગણ્યો. એનો યોગ્ય સાથ ન રાખી શક્યાં. આપણે જે અર્થે એને સ્વીકારવાનું કરેલું, તે અર્થે યોગ્ય ઉપયોગ કરવાનું આપણને સૂઝ્યું જ નહિ ! હાય ! હાય ! કેવાં હતભાગી ! એને પૂરું આપણે સમજી પણ શક્યાં નહિ ! એ હતો તો પાસે ને પાસે પણ એને સાચો ને પૂરો જોયો પણ નહિ, તો અનુભવી તો ક્યાંથી જ શકાય ?’ આવું કંઈક કંઈક સ્વજનોને જરૂર થવાનું છે, તે નક્કી માનજો. તે વેળા જે પસ્તાવો થશે તેનાથી કશું જ વળવાનું નથી. જે કોઈ जीवताને માનતાં નથી કે માની શકેલાં નથી, તે તેના ગયા પછી તેને શું માની શકવાનાં છે ? રામ રામ કરો. માટે જેને માનવાનું આપણે કરેલું હોય, તેને તેની જીવતી હયાતી સુધીમાં યોગ્યપણે સમજી લેવાય, ને તે પણ તેના પૂરેપૂરા યથાર્થપણામાં સાચી રીતે સમજાય, પાછું જ સમજીને તેનો જીવનવિકાસના સાધન તરીકે જ્ઞાનભક્તિપૂર્વક જેટલો ઉપયોગ કરી લેવાય તેટલું ઉત્તમ છે.

 ‘જીવનપોકાર’, છઠ્ઠી આ, પૃ-૧૩૫

Categories
Book Gujarati books

જીવનપાથેય (Jivan Pathey)

પ્રસ્તાવના   

સંતપુરુષો પોતાનાં સ્વજનોની પરીક્ષા અનોખી રીતે કરે છે. ગુજરાતના વિખ્યાત સંત શ્રીમોટાનો કેટલાંક વર્ષથી મારા ઉપર અકારણ સ્નેહ રહ્યા જ કર્યો છે. અહેતુક અનુરાગ રાખવો એ એના શીલ-ચારિત્ર્યની પવિત્રતા છે. એકાએક તેઓશ્રીને કોણ જાણે શાથી મનમાં શી સ્ફુરણા થઈ, અને મને એમનું પુસ્તક જીવનપાથેય’ મોકલ્યું. સાથે એક પત્ર પણ લખીને એ પુસ્તકની પ્રસ્તાવના લખવા પ્રેમપૂર્વક આદેશ આપ્યો. પ્રેમસભર આ આદેશનું ઉલ્લંઘન કરવાની મારી શક્તિ નથી. આથી જ ખૂબ મથામણને અંતે આ લખી રહી છું.

જીવનપાથેય’ પુસ્તકમાં શ્રીમોટાએ લખેલા ગદ્ય તથા પદ્ય પત્રોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. લગભગ વીસથી પચીસ વર્ષ પહેલાં આ પત્રો સાધકોને લખાયેલા છે. આ પચીસ વર્ષોમાં હંમેશાં પ્રગતિશીલ શ્રીમોટાનું આંતર્‌બાહ્ય પરિવર્તન પણ થયું હશે. અનુભૂતિની વિશદતા અને એની અભિવ્યક્તિની સહજ સુંદરતા પણ વિકસિત થઈ હશે. આમ છતાં આ પત્રોમાં શ્રીમોટાની સહૃદય રસિકતા પૂર્ણપણે છલકાય છે. માતા, બાળકની આંગળી પકડીને ચાલતા શિખવાડે છે. એ જ રીતે શ્રીમોટા સ્નેહપૂર્વક સાધકને માર્ગદર્શન કરે છે, એમ આ પત્રો જોતાં જણાય છે. શ્રીમોટાનો સ્નેહભર્યો સંપર્ક પામનાર આ સાધકો ભારે ભાગ્યશાળી ગણાય. ગુજરાતના આત્માર્થીઓને આ સત્સંગ દીર્ઘકાળ પર્યંત મળ્યા કરે એવી ઈશ્વરને પ્રાર્થના.

તા. ૧૯-૭-૧૯૬૯                                                                                                                                                           વિમલાતાઈ ઠકાર 

અર્બુદાચલ

Categories
Book Gujarati books

જીવનપરાગ (Jivan Parag)

પૂજ્ય શ્રીમોટાનું કથન 

મદ્રાસના મારા એક સ્વજને એક વાર મને સૂચવ્યું કે ‘તમારાં બધાં છપાયેલાં પુસ્તકોમાંથી જે જે સૂત્રાત્મક વચનો હોય, તેને તથા તે પુસ્તકોમાંથી જુદા જુદા વિષયના મુખ્ય મુખ્ય મુદ્દાઓ તારવીને, ટૂંકાવીને, તે બધાંનું જો એક જુદું પુસ્તક છપાવાય, તો શ્રેયાર્થીને તથા વાચકને તે તે બધું જાણવું વધુ સુલભ થઈ પડે. આ હકીકતને તો ઘણાં વર્ષો થઈ ગયાં. તે પછી ભાઈ નંદુભાઈને પોતાને જ આવું કંઈક તારવવાનો સભાન ખ્યાલ જાગ્યો ને તેઓએ મૌનએકાંત મંદિરમાં પુરાઈ જઈને, તદ્દન એકાંતવાસ સેવીને, બધાં પુસ્તકોનો અભ્યાસ કરીને આ બધું તારવ્યું છે, જેને વાચક આગળ આજે રજૂ થવાની તક સાંપડી છે. તેનું નિમિત્તકારણ તો એવા જ એક સ્વજન ભાઈ ચીમનભાઈ મહાજન છે. તેમણે લેખકનું કંઈક છપાવવા, યોગ્ય લખાણ તૈયાર હોય તો છપાવવાનું, બહુ જ દિલ કર્યાં કરેલું, ને તેવું લખાણ તો તૈયાર જ હતું. આ થઈ એની પ્રકાશન-કથા.

 લેખકને જે જે કંઈક કહેવાનું હોય છે, જે જે તેના દિલમાં હોય છે, તે બધું જ કંઈ કહેવાઈ જતું હોતું નથી. તે તો જેને જેને કહેવાનું કે લખવાનું બન્યું હોય, તેની તેની ભૂમિકા પરત્વેના લક્ષાનુસંધાનથી પ્રેરાઈને લખેલું હોવાથી તે તે વિષયની સંપૂર્ણ હકીકત તેમાં આવી જતી નથી હોતી. તેમાંય વળી આ તો બધું તારવેલું છે, એટલે તે લખાયેલાના સારરૂપે તે છે, તેથી તેમાં અધૂરપ પણ હોવાની જ.

જીવનવિકાસનાં દૃષ્ટિ, વૃત્તિ અને વલણ જ્યાં સુધી એકાગ્ર ને કેંદ્રિત, જીવતાંજાગતાં, એકધારાં પ્રગટેલાં હોતાં નથી, ત્યાં સુધી  શ્રેયાર્થીની ભૂમિકા Receptive and Responsive-સ્વીકારાત્મક, સંગ્રાહક અને તેને અનુલક્ષીને તેનો હેતુલક્ષી ભાવનાથી પ્રત્યુત્તરાત્મક સામો જવાબ પ્રેમથી, હૈયાના ઉમળકાથી વાળી શકે એવી ભૂમિકા બની ગયેલી, હોઈ શકેલી, ન હોવાથી, તેનું દિલ તે તે બધું પૂરું પચાવી શકે એવું નથી હોતું. તેનો આધાર તો તેનું દિલ જીવનવિકાસના ધ્યેય પરત્વે કેટલું ને કેવું ધગધગતા તલસાટયુક્ત ને સતત ઉન્મુખી પ્રગટેલું છે તેના પર હોય છે. એવા દિલનો દિલમાં દિલથી પ્રગટેલો એવો તલસાટ એ જ સાચી રીતે તો એના જીવનને ઘડનારો સાચો ગુરુ છે, ને ત્યારે જ નિમિત્તગુરુ એને પ્રભુકૃપાથી આકાર દેવામાં પ્રેરણાત્મક સૂક્ષ્મ મદદ પ્રેરાવી શકતો હોય છે. એવો દિલનો ઉત્કટ તલસાટ, પ્રચંડ ધગશ, ઉત્સાહ, ઉમંગ, ન્યોછાવરી, સાહસ, હિંમત, ધીરજ, ત્યાગ, સમર્પણ વગેરે જીવનમાં જ્યારે એક અંગભૂત વણાઈ જઈને તેના તેવા સ્વરૂપની કાયા ઘડાયેલી હોય છે, ત્યારે જ એવો શ્રેયાર્થી વારી વારી જઈને એમાં સર્વ ભાવે ને સર્વ રીતે પોતે ફનાગીરીનો આનંદ સેવી સેવી ફલંગો પર ફલંગો કૂદી કૂદી આગેકદમ ભરતો જતો હોય છે ને એવાના દિલની ને જીવનની એવી મસ્તીમાંથી જ જીવનનું પુનર્જીવન ને નવસર્જન થતું રહેતું હોય છે.

જીવનનાં અનેક પાસાંઓમાં, ક્ષેત્રોમાં ને જીવનના જુદા જુદા સંજોગોમાં, પરિસ્થિતિમાં, જુદાં જુદાં કર્મોમાં તેવો  जीव ભલે જુદો જુદો વર્તતો લાગે, પરંતુ તેનાં દૃષ્ટિ, વૃત્તિ અને વલણ તો ધ્યેય પરત્વેના હેતુથી એકધારાં પ્રેરાઈને ધ્યેયના હેતુની સફળતા પરત્વેની એના દિલની સચોટ મીટ મંડાયેલી ત્યારે રહ્યાં કરતી હોય છે, ને એમાંથી જ તે પોતાના જીવનને તારવતો તારવતો આગળ ધપ્યો જતો હોય છે. જીવનમાં અનેક પ્રકારનાં ઘમસાણ ને પ્રલયો એને પ્રગટે છે, પરંતુ તેના દિલની મસ્તીનો પારો ત્યારે પણ નીચે કદી ઊતરી શકતો નથી. એવા એવા પ્રસંગોથી તો એના દિલની ખુમારી ત્યારે વધારે  પ્રકાશી કેવી મદમસ્ત ટટ્ટારી અનુભવે છે, એની કથા તો કોઈક એવો ન્યારો વિરલ વીર જ અનુભવી શકે છે.

જીવનવિકાસનો માર્ગ તો છે જીવનની મસ્તીનો, ખુમારીનો ને જીવનને હૈયાના ઉમળકાથી સ્વાર્પણ કર્યાં જવાનો છે. જીવનવિકાસની કથા એવાં સ્વાર્પણનાં એક પછી એક પગલાં ભરાયાં જવાયામાંથી નવા નવા ભાવે ને નવા નવા રૂપે કોઈક ભવ્ય, રમ્ય, દિવ્ય કળામાં પરિણમતી જતી જ્યારે પોતે અનુભવે છે, ત્યારે જીવનની ધન્યતા, કૃતાર્થતા અનુભવતો તે શ્રેયાર્થી એવી જ્ઞાનભક્તિયુક્ત દિલની કુરબાનીઓ ને આહુતિઓ આપતાં આપતાં એના દિલનો ભાવ દરિયાનાં ભરતીનાં મોજાંઓથી પણ અનેકગણો વધુ ઊછળતો તે પોતે અનુભવે છે ને જીવન એક પરમ આનંદનો લહાવો છે, એવી એને દિલમાં દિલથી સભાનતા પ્રગટે છે. એવાને ત્યારે દિલમાં મસ્તીની, જીવનઘડતરની એકધારી સતત ભાવના પ્રગટેલી રહ્યાં કરે છે. તેવી ભાવના વડે કરીને હાર ને નિરાશાના વમળમાં તે કદી પણ ગર્ત થઈ જઈ શકતો નથી, કારણ કે દિલમાં એવી પ્રગટેલી પ્રચંડ ઉત્સાહ, તલસાટવાળી ભાવના એનામાં એવી તો એક હૈયાસૂઝ પ્રગટાવે છે કે તે તેવી તેવી વેળા તટસ્થતા ને સમતાથી એનું આકલન કરી કરી, તેને તેને પાર કરી જતો હોય છે, ને ત્યારે તે તેના વહાલા પ્રભુની પરમ મંગળમયી કૃપાનો સહારો અનુભવે છે કે જેના આધારે તે પોતાના જીવનનું સુકાન ધ્યેયના હેતુને હૃદયમાં હૃદયથી અનુલક્ષીને પ્રભુકૃપાથી દોરવ્યાં કરતો હોય છે.

જે જે સ્વજનોને આ બધું સંબોધાઈને પ્રભુકૃપાથી જે લખાયેલું છે, તે તે તેમને જીવન પરત્વે સભાન ને સજાગ રખાવ્યાં કરો એ જ  પ્રાર્થના.

હરિઃૐ આશ્રમ,                                                                                                                                                                       –– મોટા

કુરુક્ષેત્ર, રાંદેર (વાયા સુરત)

તા. ૧-૬-૧૯૬૩

Categories
Book Gujarati books

જીવનપગલે (Jivan Pagle)

બે બોલ

જીવન પગલે’ મૂળ તા લખનારે પોતાના અનુભવની વાનગીરૂપે સ્વજનને, તેમની જીવન-સાધનામાં માર્ગદર્શક થઈ પડે એ હેતુથી છૂટક છૂટક લખી હતી. એ સ્વજનો પણ “વૃત્તિ સળવળેલી છે, જિજ્ઞાસા  ની જરા તરા”  એવા હોવા છતાં ઉમરમાં લેખકના કોઈ વડીલ તો કોઈ જીવનસાથી છે. આ કારણસર સ્વજનોને’ સંબોધન પહેલું મૂકવામાં આવ્યું છે, અને એવાં સંબોધન ક્યાંક ક્યાંક બીજે ઠેકાણે પણ આવે છે. આમ કેવળ આંતરતૃષા છિપાવવા અને વધારવા માટે જ આમાંનું સર્વ કંઈ સ્વજનોને લખાયેલું છે.

તેઓ જીવન-પંથે આગળ ધપવાની ઉત્કંઠાવાળા હેાવાથી તેમણે લેખક સાથે સબંધ સાંધ્યો અને તેમનો પાસેથી આમાં છપાયેલું સર્વ  કંઈ લખાણ મેળવ્યું. નિત્યના જીવન–વ્યવહારમાં જ રહીને જીવનને ઉન્નત કરવાની યેાગ્ય સૂચનાઓ આપનારું આ બધું લખાણ તેમને લાગ્યું; એટલે તે આમાંનુ કેટલુ તો જાતે લખાવીને આપ્તવર્ગમાં વહેંચતા હતા. પછી, આ બધું છપાય તે ધણાંને કામ લાગે એવી તેમને સ્ફુરણા થઇ. તેમની આ ભાવનાને પોષણ ને મૂર્તસ્વરૂપ આપનાર શ્રી. મનુ સૂબેદાર મળી ગયા; એ કારણસર તેમના અને શ્રી સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલયના આભાર માનું છું.

હરિજન આશ્રમ, સાબરમતી                                                                                                                       હેમંતકૃમાર ગુણાભાઈ નીલકંઠ

તા. ૦૧-૧૦-‘૪૪

Categories
Book Gujarati books

જીવનપગદંડી (Jivan Pagdandi)

પ્રકાશકના બે બોલ

પૂજ્ય શ્રીમોટાએ આ પુસ્તકના ‘લેખકના બે બોલ’માં મારા વિશે લખ્યું છે અને આ પુસ્તકના પ્રકાશક તરીકે મારું નામ મૂક્યું છે, આથી, ‘બે બોલ’ રૂપે મારે પણ કંઈક લખવું એમ થતાં આ લખું છું.

હું મૅટ્રિક પાસ થયો તે સમયથી પૂજ્ય શ્રીમોટાની મને પ્રત્યક્ષ તેમ જ પરોક્ષ અનેક પ્રકારની સહાય મળી છે. હું એમના નિકટ સંપર્કમાં રહું છું, એટલે મને કંઈ ને કંઈ કામ સોંપે અને તે હું કેવી રીતે કરું છું તે જોઈ, તપાસી મારા સ્વભાવનું ઘડતર કરે. આ એમની આગવી લાક્ષણિકતા છે અને મને તેની ખબર પણ છે. આથી, એઓ મને કોઈ પણ રીતે વઢે કરે એવી એમને તક ન મળે એવી ચોકસાઈ રાખવા પ્રયત્ન કરું પણ ખરો, પરંતુ તેવી સતત જાગૃતિ રાખી શકું નહિ. સોંપેલ કર્મમાં ક્યાંક ભૂલ કરું જ અને તેમને તક અપાઈ જાય. પછી તેઓશ્રી મને લડે કરે તો ખાસ ખરાબ લાગે નહિ, કારણ ક્યાં કેવી ભૂલ કરી છે, તેનું ભાન તો તે પછી તુરત જ થઈ જતું, પણ તેને તો સુધારવાની તક મળતી નહિ. પણ આવા અનુભવે બીજાં કાર્યોમાં વધુ ચોકસાઈ, વધુ જાગૃતિ રહેતી.

પ્રિય પૂજ્યના પ્રત્યક્ષ સંપર્ક અને સ્નેહ ઉપરાંત તેઓશ્રીના પરમ ચેતના સાથેના અદ્વૈતાનુભવને લીધે મને પરોક્ષ સ્પર્શ અને પારલૌકિક અનુભવો થયા છે. એની વિગતમાં ઊતરવું એ અત્રે પ્રસ્તુત નથી. તેમ છતાં, આવા અનુભવો થતા હોવા છતાં મારા અંતરમાં તેઓશ્રી કહે છે એવી ભક્તિ જાગી નથી. જાગતી નથી એનો એકરાર કરવા આટલો ઉલ્લેખ કરું છું. મને જ્યારે જ્યારે એવા ચમત્કારિક અનુભવો થયા છે ત્યારે ત્યારે જાણે કે એ બધું મેં જોયેલું  છે, અનુભવેલું છે, એવા સંસ્કારો મારા સચેતન માનસમાંથી પ્રગટ થાય- એવું મને લાગ્યા કરે કે આમાં કશું નવું નથી. ક્યાંક ક્યારેક અનુભવેલું છે. વળી, સત્પુરુષોની સોબતથી આવું તો અનુભવાય એમ બુદ્ધિ સ્વીકાર કરે, એથી આવા નક્કર અને જીવંત અનુભવોએ પણ મને પરમ ચેતના પરત્વેના અહોભાવમાં ડુબાડેલો નથી અને ભક્તિનો ઉદ્રેક અનુભવતો નથી. આ પ્રકારની સમજ પૂરતી મારી ભ્રમણા કે જડતા અથવા ઘોર તામસ પણ હોઈ શકે.

છતાં પણ ચિત્તના બંધારણમાં કર્મ પરત્વેની નિષ્ઠા અને પ્રમાણિકતાને લીધે ખંત, ઉદ્યમ અને ઉમળકો રહ્યા કરે. પહેલાં દૃષ્ટિ, વૃત્તિ અને વલણ સંપૂર્ણપણે સાંસારિક હતાં. છતાં એ મોળાં પડીને આધ્યાત્મિક માર્ગની આછી સમજ ચિત્તમાં અંકાઈ રહી છે, એનું કારણ પ્રિય પૂજ્યની સપ્રેમ કૃપા છે, એમ હું બુદ્ધિપુરઃસર સ્વીકારું છું. બુદ્ધિનો આવો સ્વીકાર હોવા છતાં ભાવ-ભક્તિનો ઉદ્રેક અનુભવાતો નથી એનો પણ હું સ્વીકાર કરું છું. પ્રિય પૂજ્યની અપાર કૃપાનો હું ભાજન બનેલો છું. મને પારલૌકિક શક્તિના અનેક પ્રકારના અનુભવો પણ થયા છે. અંતરમાં જન્મેલી આધ્યાત્મિક જીવન પરત્વેની સૂઝને લીધે હું એ માર્ગ ઉપર આગળ વધવાના પ્રયત્નો પણ કૃપામદદ માગી માગી કરું છું. છતાં હજી ભક્તિભાવમાં વેગ આવતો નથી એનો એકરાર પણ કરું છું.

જીવનપગદંડી’ પુસ્તકના પ્રકાશક તરીકે ‘બે બોલ’ દ્વારા મારા અંતરભાવની અભિવ્યક્તિને આ તક મળી છે ત્યારે મને એવી કશી પણ ભૂમિકા ન હતી, છતાં જે પ્રેમભાવ અને કૃપાને લીધે ચઢાણના માર્ગની સૂઝ પ્રગટી છે, એમાં પ્રેમભક્તિ ભાવભર્યો વેગ પ્રાપ્ત થાય એવી પ્રિય પૂજ્યને પ્રાર્થના કરી વિરમું છું.

રમાકાંત પ્ર. જોશી

Categories
Book Gujarati books

જીવનમથામણ (Jivan Mathaman)

મથ્યા વિના કશું પણ કંઈ જીવનમાં ના જ મળતું છે,

ગરજ  રળવાની  લીધેથી  હૃદય  મથવાનું  ઊગ્યું  છે.

 

તમન્ના    જે    ભભૂકેલી    જીવનતત્ત્વ    અનુભવવા,

મને   એણે ન  દીધો   છે,  પડી  રહેવા   કદી  છાનો.

 

બહુ  મથતાં,  બહુ મથતાં,  જુદી જુદી રીત જીવનને

-અનુભવવા  મળ્યું, એ  તો  પ્રસાદી  શી  हरिની તે !

 

મથ્યા  કેડે  ઘણું  ઘણું  જ્યાં  પછી  આરામ  કરવાને

-સમય મળતો, મીઠો કેવો ! મધુરપ તેની ઑર જ છે !

 

 ‘જીવન મથામણ’,બીજી આ., પૃ-90

Categories
Book Gujarati books

જીવનલહરી (Jivan Lahari)

નિવેદન 

શ્રીસદ્‌ગુરુ સ્થૂળ દેહ નથી, તે તો સાધકના દિલમાં પ્રગટેલો ભાવ છે. જ્યાં સુધી ભાવ હૃદયમાં સ્થાપિત હોય ત્યાં સુધી જ સદ્‌ગુરુનું જીવનપ્રેરક સાચું સાંનિધ્ય. સ્થૂળ સાંનિધ્ય ઉપકારક ખરું, પણ ખાસ ઉપયોગી નહિ.

આ સમજણ તો સૌને હોય છે. છતાં, ગુરુના ભાવાત્મક સાંનિધ્યને દિલમાં પ્રગટાવવું અતિ કઠણ છે. પૂજ્ય શ્રીમોટાનાં નિકટ પરિચયનાં સ્વજન ડૉ. કાંતાબહેન પટેલે પોતાનું દિલ પૂજ્ય શ્રીમોટામાં રમ્યા કરે એ માટેનાં સાધનોની સરળ સમજ પ્રગટે તેવી દોરવણી આપવા પૂજ્ય શ્રીમોટાને વિનંતી કરેલી. પૂજ્યશ્રીના દિલમાં સતત પ્રભુપ્રેમના ભાવની છોળો તો ઊછળ્યા જ કરે. એમનું દિલ એટલે પ્રેમ અને ભાવથી છલકાતો સાગર.

પૂજ્યશ્રી રોજ એક ગઝલની રચના કરે અને તે ટપાલથી ડૉ. કાંતાબહેન ઉપર રવાના કરે. આમ, ભાવસિંધુમાંથી ઊછળેલી આવી બસો સોળ જેટલી ગઝલોની લહેરો ડૉ. કાંતાબહેનના હૃદયના અંતરભાવોને સતત ભીંજવતી રહી. જીવનલહરિ’ એ આ બસો સોળ ગઝલ લહરિનો સમૂહ છે. પૂજ્યશ્રીના હૃદયમાં પ્રવેશવાનો સરળ છતાં જીવનભરની સાધના માગતો રાજમાર્ગ તેમાં સ્પષ્ટ વર્તાય છે.

આ પુસ્તકની મુદ્રણશુદ્ધિનું કાર્ય પૂરા પ્રેમભાવથી અને ચીવટથી શ્રી જયંતીભાઈ જાનીએ કરી આપ્યું છે. તેમના સહકારની અમો કદર કરીએ છીએ. આ પુસ્તકની આવરણ ડિઝાઇન ખૂબ જ ઉત્સાહથી અને આકર્ષક રીતે તૈયાર કરી આપનાર શ્રી મયૂરભાઈ જાનીનો અમો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.

ટાઇટલને ચાર રંગમાં છાપી આપવા બદલ સાહિત્ય મુદ્રણાલયના નિયામકો શ્રી શ્રેયસભાઈ પંડ્યા તથા શ્રી યજ્ઞેશભાઈ પંડ્યાનો અમો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.

ચિખોદરાના વતની શ્રી ચૂનીભાઈ ડાહ્યાભાઈ પટેલના આર્થિક સહયોગથી આ પુસ્તકની બીજી આવૃત્તિ પ્રગટ કરતાં અમો આનંદ અનુભવીએ છીએ. આશા છે કે સૌ કોઈ આ પુસ્તકને પ્રેમથી વધાવશે.

હરિઃૐ આશ્રમ,                                                                                                                                                            સી. ડી.શાહ 

નડિયાદ.                                                                                                                                                                               મૅનેજિંગ ટ્રસ્ટી

તા. ૧૪-૨-૧૯૯૯

Categories
Book Gujarati books

જીવનકેડી (Jivan Kedi)

લેખકના બે બોલ  

બધાં લખેલાં ભજનો એ કાંઈ કાવ્યો નથી. એ તો બધાં જોડકણાં છે. અને તે રોજ ને રોજ વીસપચીસના જથ્થામાં લખાતાં જતાં હોય છે. એમાં નરી સરળતા પણ છે અને સમજાય તેવાં છે. श्रीहरिकृपाથી જે જે રીતે સાધના થઈ છે, જે જે રીતે સાધનામાં ઊંડું ઊતરાયું છે અને ત્યારે તેના પરિણામથી કરી જે તટસ્થતા, ચેતના પ્રગટ્યાં હતાં, અને તેના કારણે કરીને જે પૃથક્કરણ થયું તેનું દર્શન પણ ભજનોમાં ડોકિયાં કરતું જરૂર જણાય છે. આને કોઈ કાવ્ય તરીકે વિચારશો નહિ પણ જોડકણાં તરીકે જ સ્વીકારશો. જે કોઈ जीव સાધનાનો ખરેખરો શ્રેયાર્થી છે, તેને તો મમમમ સાથે કામ છે, ટપટપ સાથે નહિ, તેવા સદ્‌ભાવી શ્રેયાર્થીઓ તો મહીંથી મર્મને ગ્રહણ કરી લેશે.

મારું શરીર ઘણા વેદનાવાળા રોગોથી ભરપૂર છે. તે કાળે તેના શરીરને કોમળ લાગણીવાળી શુશ્રૂષાની ઘણી જરૂર, બલકે તેની આવશ્યકતા અને જરૂરિયાત પણ ખરી. તે માટે श्रीहरिએ કેટકેટલાં સ્વજનો બક્ષ્યાં છે ? અને મારા જેવા તીખા સ્વભાવને પણ તેઓ પ્રેમથી, ઉદારતાથી સ્વીકારી લઈ મારા શરીરને સેવા આપ્યાં કરે છે, તેને હું તો श्रीभगवानની કૃપાપ્રસાદી જ લેખું છું, કેટકેટલાં નામ લખું ? રાજુ, રેણુકા, શ્રીરામ, કાંતાબહેન, ઇંદુ, જયશ્રી, તે બધાંયનો બદલો તો श्रीहरि આપે.

આવાં પુસ્તકો વેચી આપવાનું કામ કેટલાક સદ્‌ભાવી સજ્જનો કર્યાં કરે છે અને હરિઃૐ આશ્રમે પરમાર્થને માટે ઉપાડેલાં કાર્યોમાં ઉઘરાવવા માટે સ્વયંમેળે જે ભાઈઓ ફાળો મેળવ્યા કરે છે, તે બધા ભાઈઓનાં નામનો ઉલ્લેખ કર્યા વિના હૃદયથી ઘણો આભાર માની લઉં છું. આ બધો મહિમા श्रीहरिના નામના પ્રતાપનો જ છે.

‘કેવો હતો ? પતિત શો મુજને ચઢાવ્યો !

ક્યાંયનોય ક્યાંય મુજને ગગને ઉરાડ્યો’,

 દાંડી પીટી  જગતને  કહું ધ્યાન    લેજો,

 એ  છે  પ્રતાપ   પદની    રજધૂલિકાનો.

હરિઃૐ આશ્રમ,

નડિયાદ                                                                                                                                                                                        –મોટા

તા. ૨૩-૨-૧૯૭૪